Оберіть трек для відтворення

શ્રીકૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યાં
સિદ્ધિ અલૌકિક આપનારાં વંદું શ્રી યમુનાજીને
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું
પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતાં દૈવી જીવો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો
મા સૂર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાં
ત્યાં કાલિન્દીના શિખર ઉપર શોભા અતિ સુંદર દિસે
એ વેગમાં પથ્થર ઘણાં હરખાઈને ઉછળી રહ્યાં
ને આપ પણ ઉલ્લાસપૂર્વક ઉછળતાં શોભી રહ્યાં
હરિ હેતના ઝૂલા ઉપર જાણે બિરાજ્યાં આપ હો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો
શુક મોર સારસ હંસ આદિ પક્ષી થકી સેવાયેલાં
ગોપીજનોએ સેવ્યાં ભુવન સ્વજન પાવન રાખતાં
તરંગરૂપ શ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણાં
કંકણ સરસ શોભી રહ્યાં શ્રીકૃષ્ણને બહુ પ્રિય જે
નિતંબરૂપ શ્રી તટ તણું અદ્ભૂત દર્શન થાય જો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો
અનંત ગુણથી શોભતાં સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે
ઘનશ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું
વિશુદ્ધ મથુરા આપના સાન્નિધ્યમાં શોભી રહ્યું
સહુ ગોપ ગોપી વૃંદને ઈચ્છિત ફળ આપી રહ્યાં
મમ કોડ સૌ પૂરા કરો જ્યમ ધ્રુવ પરાશરના કર્યા
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો
શ્રીકૃષ્ણના ચરણો થકી શ્રી જાહ્નવી ઉત્પન્ન થયાં
સત્સંગ પામ્યાં આપનો ને સિદ્ધિદાયક થઈ ગયાં
એવું મહાત્મ્ય છે આપનું સરખામણી કોઈ શું કરે
સમકક્ષમાં આવી શકે સાગરસુતા એક જ ખરે
એવા પ્રભુને પ્રિય મારાં હૃદયમાં આવી વસો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો
અદ્ભૂત ચરિત્ર્ય છે આપનું વંદન કરું હું પ્રેમથી
યમયાતના આવે નહીં મા આપના પાનપાનથી
કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપનાં
સ્પર્શે ન અમને કોઈ ભય છાયા સદા છે આપની
ગોપીજનોને પ્રભુ પ્રિય બન્યાં એવી કૃપા બસ રાખજો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો
શ્રીકૃષ્ણને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખજો
ભગવદ્ લીલામાં થાય પ્રીતિ સ્નેહ એવો રાખજો
જ્યમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યાં
મમ દેહ મન શ્રીકૃષ્ણને પ્રિય થાય એવા રાખજો
વિરહાર્તિમાં હે માત મારા હૃદયમાં બિરાજજો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો
હું આપની સ્તુતિ શું કરું મહાત્મ્ય અપારંપાર છે
શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે
પણ આની સેવા થકી અદ્ભૂત જલક્રીડા તણાં
જલના અણુની પ્રાપ્તિ થાએ ગોપીજનોના સ્નેહથી
એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારું એમાં સ્થાપજો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો
કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો
નિશ્ચે પ્રભુને પ્રિય થાશે ને નાશ થાશે પાપનો
સિદ્ધિ સકળ મળશે અને શ્રીકૃષ્ણમાં વધશે પ્રીતિ
આનંદ સાગર ઊમટશે ને સ્વભાવ પણ જાશે જીતી
જગદીશને વ્હાલા અમારા વલ્લભાધીશ ઉચ્ચરે
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો